ગાળો બોલવા મુદ્દે મિત્રને ટપારતા યુવકની નિર્મમ હત્યા, અઠવાડિયામાં હત્યાનો ત્રીજો બનાવ

એક સમયનું શાંત અને સલામત ગણાતું રંગીલું રાજકોટ આજે રક્ત રંજીત બની હોય તેવું લાગી રહ્યું છે. આજે એક જ અઠવાડિયાની અંદર શહેરમાં ત્રણ-ત્રણ હત્યાના બનાવ સામે આવતા પોલીસની કાયદો અને વ્યવસ્થા સ્થિતિ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. ગઇકાલે રાત્રીના સમયે રાજકોટ શહેરના ન્યુ જાગનાથ શેરીમાં ભાડાના મકાનમાં રહેતા કમલ સુરેશ નેપાળી (ઉ.વ.32)ની તેના ઘર પાસે જ રહેતા તેના જ મિત્ર વિજય નેપાળીએ છરી વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી. જો કે આ મામલે એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આરોપીને પકડી તેની પૂછપરછ શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે મૃતકની પત્ની ધનાબેન કમલભાઈ ટમાટ (ઉ.વ.32)ની ફરિયાદ પરથી આરોપી વિજય ઉજારસિંગ વિશ્વકર્મા ની ધરપકડ કરી તેની સામે આઇપીસી કલમ 302 અને જીપીએકટ 135 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કમલ અને વિજય બંને ખાસ મિત્રો હતાં
હત્યાનો ભોગ બનનાર કમલ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં રહેતો હતો. હાલ એસ્ટ્રોન ચોક પાસે આવેલા ઈલેક્ટ્રોનિકના શોરૂમમાં ઓફિસ બોય તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પોલીસે તપાસ કરતા કમલ અને આરોપી વિજય બંને ખાસ મિત્રો હતાં. બન્ને ગઈકાલે ઘર પાસે ચોકમાં બેઠા હતા. ત્યારે બંને વચ્ચે રાત્રે બોલાચાલી અને ગાળાગાળી થયા બાદ આવેશમાં આવી વિજયે કમલના ગળાના ભાગે છરીનો એક ઘા ઝીંકી દેતાં તેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
કમલ ત્રણ ભાઈમાં સૌથી મોટો હતો
બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને માહિતી મળેવી આરોપી વિજય નાસી છૂટે તે પૂર્વે તેને પકડી પાડ્યો હતો. હત્યાનો ભોગ બનનાર કમલ ત્રણ ભાઈમાં સૌથી મોટો હતો. તેના બે ભાઈઓ અમદાવાદ અને સુરતમાં રહે છે. સંતાનમાં બે દીકરી છે. જેમાંથી એક નેપાળ રહે છે. જ્યારે બીજી પુત્રી અને પત્ની સાથે તે ન્યુ જાગનાથ શેરી નં.25/26માં રહેતો હતો.
વિજયે કમલને છરીનો ઘા ઝીંકી દીધો
વિજય ઉજરસિંહ વિશ્વકર્મા (ઉ.વ.22) વિદ્યાનગર-1માં આવેલા રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં બ્લોક નં.5માં રહે છે. તેણે પોલીસ સમક્ષ એવું રટણ કર્યું કે હત્યાનો ભોગ બનનાર કમલે તેને માતા અને બહેન સમાણી ગાળો આપતા બોલાચાલી થયા બાદ આવેશમાં આવી વિજયે કમલને છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
તમામ બનાવમાં આરોપીઓ ઝબ્બે
રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં હત્યાની આ ત્રીજી ઘટના સામે આવી છે. શહેરના 80 ફુટ રોડ ઉપર આંબેડકરનગરમાં જુની અદાવતને કારણે યુવાનની છરીના બે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ રવિવારે ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટરમાં રહેતા યુવકે પાડોશી મહિલાનો હાથ પકડી લેતાં મહિલાના પતિએ ઈંટના ત્રણ ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને ત્રીજી ઘટનામાં ગઇકાલે રાત્રે ન્યુ જાગનાથમાં નેપાળી યુવાનની તેના જ મિત્રના હાથે હત્યા નિપજવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસે આ તમામ બનાવમાં આરોપીઓને પકડી લીધા છે અને અંગત અદાવતમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.