ભાજપ હવે સામાજિક આંદોલન તરીકે આગળ આવે: PM મોદી

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે પૂર્ણ થઈ હતી. વડાપ્રધાને કહ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણીના આડે હવે માત્ર 400 દિવસ બાકી રહ્યા છે. તેથી કાર્યકરો એક-એક વોટરને મેળવવા માટે તેમના ઘરે પહોંચે. ભારતનો સર્વોત્તમ કાળ સામે દેખાઈ રહ્યો છે. ભાજપે હવે રાજકીય આંદોલન નહીં પણ સામાજિક આંદોલન તરીકે સામે આવવું પડશે.
વડાપ્રધાને ભાજપ માટે આવતા 25 વર્ષનું વિઝન રજૂ કર્યું હતું. જેમાં પાર્ટીને માત્ર રાજકીય મશીનરીના સ્થાને સામાજિક ઉપક્રમ તરીકે તબદીલ કરવાની હાકલ કરવામાં આવી હતી. એટલે કે એક પાર્ટી તરીકે ભાજપે જે સફર નક્કી કરી છે તેનું ક્ષેત્ર વિસ્તારીને સામાજિક કાર્યો સુધી લઈ જવામાં આવશે. મોદીએ કહ્યું કે નવા કાર્યકર્તાઓને લઈને બૂથને મજબૂત કરવામાં આવે. 18થી 25 વર્ષના યુવાનો વચ્ચે સુશાસન એટલું શું તેની સ્પષ્ટતા કરવામાં આવે.
બેઠકના છેલ્લા દિવસે પાર્ટીએ એક મહત્ત્વનો નિર્ણય લેતા અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ પછી ગૃહમંત્રી અમિત શાહે તેની જાહેરાત કરી હતી. લાલકૃષ્ણ અડવાણી અને અમિત શાહ બાદ જેપી નડ્ડા ભાજપના ત્રીજા એવા નેતા છે જે સતત બીજીવખત અધ્યક્ષ પદ સંભાળશે. રાજનાથ સિંહે પણ બે વખત પાર્ટી અધ્યક્ષ બન્યા હતા પણ તેમને કાર્યકાળ સળંગ નહતો.
હવે ‘ધરતી બચાવો’ અભિયાન ચાલવું જોઈએ: ફડણવીસ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરહદી ગામો અને જિલ્લામાં પાર્ટીએ એવા કાર્યક્રમો ચલાવવા જોઈએ જ્યાં વિકાય થયો હોય અને જીવન બહેતર બન્યું હોય. જે રીતે બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવ્યું એ જ તર્જ પર ધરતી બચાવો અભિયાન ચલાવવું જોઈએ. આજે ધરતી બચાવવાની જરૂર છે.