લાલ કિલ્લા પર હુમલાના કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે લાલ કિલ્લા પર હુમલાના દોષિતની ફાંસીની સજાને યથાવત રાખી
આ મામલે સેશન્સ કોર્ટે વર્ષ 2005માં આરિફને દોષિત માનીને ફાંસીની સજા સંભળાવી હતી. સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં આ મામલે સુનાવણી દરમ્યાન ફાંસીની સજાને યથાવત રાખી હતી. સુપ્રીમ કોર્ટે વર્ષ 2000માં થયેલા લાલ કિલ્લા પર હુમલાના દોષિત મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાકની ફાંસીની સજાને યથાવત રાખી છે. કોર્ટે મોહમ્મદ આરિફની પુન:વિચાર અરજીને ફગાવી દીધી છે.
લશ્કર-એ-તૈયબાએ 22 ડિસેમ્બર 2000ના રોજ કર્યો હતો આતંકી હુમલો
લાલ કિલ્લા પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ 22 ડિસેમ્બર 2000ના રોજ આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલામાં બે સૈનિકો સહિત ત્રણ લોકો શહીદ થયા હતા. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં લાલ કિલ્લામાં ઘુસણખોરી કરનારા બે આતંકવાદી ઠાર થયા હતા. લાલ કિલ્લા હુમલાના મામલે 31 ઓક્ટોબર 2005માં સેશન્સ કોર્ટે આરિફને દોષિત માનીને ફાંસીની સજા સંભળાવી હતી.
2013માં સુપ્રીમ કોર્ટે યથાવત રાખી હતી ફાંસીની સજા
મહત્વનું છે કે 2013માં સુપ્રીમ કોર્ટે આરિફની ફાંસીની સજાને યથાવત રાખીને પુન:વિચારની અરજી દાખલ કરી હતી. ત્યારબાદ 2014માં સુપ્રીમ કોર્ટે આરિફની ક્યુરેટીવ અરજી પણ દાખલ કરી હતી. ત્યારબાદ હવે એક વખત ફરીથી સુપ્રીમ કોર્ટે દોષિતની સજાને લઇને દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટીશનને પણ ફગાવી દીધી છે.