ભૂપેન્દ્ર પટેલ સરકારે આ ધોરણના બાળકોનો ઘટાડ્યો 'ભાર': જાણો ક્યારે લાગુ થશે મહત્વપૂર્ણ નિર્ણય

આજે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લવામાં આવ્યો છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે ધોરણ 6 થી8માં અભ્યાસ કરતા પ્રિ-વોકેશનલ વિદ્યાર્થીઓ માટે 10- બેગલેસ ડેની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ-વોકેસનલ વિદ્યાર્થીઓ કે જેઓ 6થી8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે 10- બેગલેસ ડેની જોગવાઈ કરવામાં આવી છે.

સરકારે ઘટાડ્યો વિદ્યાર્થીઓનો 'ભાર'
જેના થકી વિદ્યાર્થીઓના જ્ઞાન,સમજણને કૌશલ્ય સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક ઉદ્યોગો, કળા, સંસ્કૃતિ જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત સ્થાનિક ઔધોગિક સંસ્થાઓના અનુભવો દ્વારા કૌશલ્યવર્ધન અને ભાવી કારકિર્દી વધુ ઉજ્જવળ બનશે. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકાશે. જો કે વિદ્યાર્થીને કોઈ ગ્રેડ કે ગુણ આપવામાં આવશે નહીં. શિક્ષક આનો આંતરિક અથવા ગોપનીય મૂલ્યાંકન કરી શકે અને તેનો આંતરિક રેકોર્ડ પણ રાખી શકે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતુ.

નવી શિક્ષણ નીતિમાં 10 બેગલેસ ડેની જોગવાઈ
વધું વિગતો આપતા તેમણે કહ્યું કે, શિક્ષકો અને બાળકો સરેરાશ રોજ છ કલાક શાળામાં વિતાવે છે, જેને જોતા વર્ષ દરમિયાન આ કાર્યક્રમની પ્રવૃતિઓ માટે શાળાના સમયના 10 દિવસ અથવા તો 60 કલાક ફાળવવામાં આવશે.જેમાં સત્રના પ્રથમ ભાગમાં 5 દિવસ અને સત્રના બીજા ભાગમાં 5 દિવસ આમ 10 દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે.

વિદ્યાર્થીઓના રસ અને વલણને અભિગમ જાણવા
પ્રારંભિક તબક્કે જાન્યુઆરી–2023ના પ્રથમ સપ્તાહમાં અજમાયશી ધોરણે રાજ્યની 491 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 10-બેંગલેસ ડેનો અમલ શરૂ કરવામાં આવશે.જ્યારે બીજા તબક્કામાં જાન્યુઆરી, 2023 અંત સુધીમાં 1009 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 10-બેગલેસનું અમલીકરણ કરવામાં આવશે. જેના માટે શાળા દીઠ - રૂ. 15,000/- એમ કુલ રૂ. બે કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવી હોવાનું મંત્રી શ્રીએ જણાવ્યું હતુ.