ગુલમર્ગમાં હિમસ્ખલન, બે વિદેશી પ્રવાસીનાં મોત, 19ને બચાવાયા

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બુધવારે હિમસ્ખલનને કારણે બે વિદેશી પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતાં. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે અફરવાટ શિખરના હાપતખુદ કાંગડોરીમાં બપોરે 12.30 વાગ્યે બરફની 20 ફૂટ ઊંચી દીવાલ તૂટી પડી હતી. પોલેન્ડના 12 અને રશિયાના આઠ પ્રવાસી સહિત બે સ્થાનિક ગાઇડ હિમસ્ખલનમાં ફસાયા હતા. બન્ને મૃતક પોલેન્ડના છે. પોલીસના મતે, તેમને બચાવવા 14 હજાર ફૂટ ઊંચાઈની કેબલ કારનો ઉપયોગ કરાયો હતો. રેસ્ક્યૂ ઓપરેશનમાં 19ને બચાવાયા હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર બે દિવસ પહેલા ભારે હિમપ્રપાત બાદ વિસ્તારમાં હિમસ્ખલનની આશંકાને કારણે બંધ જાહેર કરાયો હતો. હિમસ્ખલનની ચેતવણી આપવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં 29 અને 30 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા થઈ હતી.
આજે વરસાદની આગાહી, ઠંડીથી રાહત નહીં
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં બરફવર્ષાથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, યુપી, ઝારખંડ અને વિદર્ભમાં લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તામિલનાડુ અને કેરળના દક્ષિણી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સ્કાઇમેટના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી ત્રણ દિવસ સુધી જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે.