ધંધો સરખો ચાલતો ન હોવાથી કારખાનેદારે ફાંસો ખાઇ લીધો

શહેરની ભાગોળે આવેલી કોઠારિયાની રાધેશ્યામ સોસાયટીમાં કારખાનેદારે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. કારખાનું બરોબર ચાલતું નહીં હોવાથી આર્થિક ખેંચથી કંટાળી પગલું ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું, તેમજ ભક્તિપાર્કમાં માથાના દુખાવાથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાત કરી લીધો હતો. કોઠારિયામાં આવેલી રાધેશ્યામ સોસાયટીમાં રહેતા ભરતભાઇ હકાભાઇ ચોથાણી (ઉ.વ.44)એ પોતાના ઘરે છતના હૂકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભરતભાઇ કારખાનું ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કેટલાક સમયથી ધંધો બરોબર ચાલતો નહીં હોવાથી આર્થિક ખેંચ ઊભી થતાં કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું. અન્ય એક બનાવમાં રેલનગર પાસેના ભક્તિપાર્કમાં રહેતા શોભનાબેન રાજદીપસિંહ સરવૈયા (ઉ.વ.22)એ સોમવારે પોતાના ઘરે એસિડ પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.