રાજકોટમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા

દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મપરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમનાં આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈકાલે રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. ત્યારે આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ચૂંટણી પહેલાં પોસ્ટર વોર શરૂ થયું હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. 'હું ઈશ્વરને માનીશ નહીં' તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં છે. જોકે આ બેનર કોણે લગાવ્યાં એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ ચૂંટણી સમયે આ પ્રકારનાં બેનર લાગતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે, જોકે રાજકોટમાં AAPના કાર્યકર્તાઓ દ્વારા આ બેનર હટાવવામાં આવ્યાં હતાં.ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરો ફાડવામાં આવ્યા હતા ત્યારે હવે કેજરીવાલ વિરોધી પોસ્ટરો ન ફાટે તે માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જો કે આ મામલે મનપાના એસ્ટેટ વિભાગના ચેરમેન અને કોર્પોરેટર દિલીપ લુણાગરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ કંપનીને બોલાવીને પોસ્ટરો દૂર કરવામાં આવશે.
આ મામલે રાજકોટ AAPના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને જણાવ્યું હતું કે હું પણ હિન્દુ છું અને કેજરીવાલ પણ હિન્દુ છે અમને હિન્દુ હોવાનો ગર્વ છે પરંતુ હિન્દુત્વના નામે આ પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ. અમે લોકો ગુજરાતમાં વિકાસના કામો કરવા જઈ રહ્યા છીએ એટલે અમારો આ પ્રકારે ખોટી રીતે વિરોધ થઈ રહ્યો છે બેનર લગાવીને ભાજપ શું સાબિત કરવા માંગે છે એ ખબર નથી પડતી.