અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાજકારણમાં ફરી એકવાર તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના 'રીબડા પેટ્રોલિયમ' પર બે અજાણ્યા બુકાનીધારી શકસે ફાયરિંગ કરતાં સનસનાટી મચી ગઈ છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જોકે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પંપના કર્મચારીએ જયરાજસિંહ જાડેજા પર શંકા વ્યક્ત કરી છે. આ ઘટનાથી ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતા. તેમના જણાવ્યા અનુસાર, તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો. ગોળી ઓફિસના કાચને તોડીને અંદર રહેલા મંદિરના લાકડાના ભાગે વાગી હતી. જાવેદભાઈ ગભરાઈને બહાર દોડી આવ્યા તો તેમણે બાઈક પર આવેલા બે શખસને જોયા, જેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા. તેમાંથી એક શખસે જાવેદભાઈ સામે બંદૂક તાકી, જેથી તેઓ ગભરાઈને જીવ બચાવીને ઓફિસની અંદર ભાગી ગયા.
'હુમલાખોરો બાઈક લઈને ફરાર થઈ ગયા' ફાયરિંગનો અવાજ સાંભળીને પંપના મેનેજર જગદીશસિંહ ગોહિલ પણ બહાર આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો પોતાની બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પેટ્રોલ પંપના માલિક જયદીપસિંહ જાડેજા અને સત્યજિતસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી.