અનિલ અંબાણીની કંપનીઓ પર EDની કાર્યવાહી પૂર્ણ

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધિત 35થી વધુ સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા રવિવારે પૂર્ણ થયા. આ કાર્યવાહી 24 જુલાઈથી શરૂ થઈ હતી અને ત્રણ દિવસ સુધી ચાલી હતી. દરોડામાં લગભગ 50 કંપનીઓ સામેલ છે. 25થી વધુ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે.
રિલાયન્સ ગ્રુપની કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે રવિવારે એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા આ માહિતી આપી હતી. બંને કંપનીઓએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે, આ કાર્યવાહીથી તેમના વ્યવસાય, નાણાકીય કામગીરી અથવા શેરધારકો પર કોઈ અસર થશે નહીં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યસ બેંકમાંથી 3000 કરોડ રૂપિયાના લોન છેતરપિંડી કેસના સંદર્ભમાં દિલ્હી અને મુંબઈમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 17 હેઠળ પાડવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા નોંધાયેલી બે એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા અને નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (એનએફઆરએ) જેવી એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી હતી.