દર્શન કરીને પરત ફરતી વખતે કાર ટ્રક સાથે અથડાતા વૃદ્ધનું મોત

રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા નજીક બંધ ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં રાજકોટના વેપારીને ઇજા થઇ હતી જ્યારે તેના પિતાનું મૃત્યુ થયું હતું. પિતા પુત્ર બંને જસદણના કોઠી ગામે મંદિરેથી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે જીવલેણ અકસ્માત નડ્યો હતો.
એરપોર્ટ રોડ પર અભિલાષા સોસાયટીમાં રહેતા કપડાના વેપારી વિપુલભાઇ ધીરજલાલ રૂપાણી (ઉ.વ.45) અને તેના પિતા ધીરજલાલ રામજીભાઇ રૂપાણી (ઉ.વ.73) તા.25ના સવારે પોતાની કાર લઇને રાજકોટથી જસદણ પાસેના કોઠી ગામે આવેલા ખેતલિયા દાદાના મંદિરે દર્શન કરવા ગયા હતા, મંદિરે દર્શન કરી પિતા પુત્ર પરત ફરી રહ્યા હતા અને ત્રંબા નજીક પહોંચ્યા હતા ત્યારે ત્યાં ઊભેલી બંધ ટ્રક પાછળ કાર ઘૂસી ગઇ હતી. કાર વિપુલભાઇ ચલાવી રહ્યા હતા અને તેમના પિતા તેમની બાજુની સીટ પર બેઠા હતા. અકસ્માતમાં ઘવાયેલા પિતા પુત્રને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ વૃદ્ધ ધીરજલાલનું મોત નીપજ્યું હતું.
અન્ય એક બનાવમાં છોટુનગર મફતિયાપરામાં રહેતી મધુ સુરેશભાઇ સેફાતરા (ઉ.વ.15)એ પોતાના ઘરે શાલ વડે ગળાફાંસો ખાઇ લીધો હતો, સ્કૂલવેન ચલાવતા પિતા સુરેશભાઇ બહાર જવા માટે પુત્રીને બોલાવવા જતાં પુત્રીનો લટકતો દેહ જોવા મળ્યો હતો, ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી.