એમેઝોનની બીજા રાઉન્ડમાં નવ હજાર લોકોની છટણીની જાહેરાત

દુનિયામાં બેન્કિંગ સંકટ અને મંદીના વધતા જતા ખતરા વચ્ચે વિવિધ કંપનીઓમાં છટણીનો દોર જારી રહ્યો છે. હવે દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોને બીજા રાઉન્ડમાં 9000 કર્મચારીની છટણી કરવાની તૈયારી કરી લીધી છે. આગામી થોડાંક સપ્તાહમાં હજારો કર્મચારીઓને છૂટા કરાશે. આ માટે કંપનીએ યાદી પણ તૈયાર કરી છે.
અહેવાલ મુજબ એમેઝોને છટણીના પ્રથમ રાઉન્ડ હેઠળ છેલ્લા કેટલાક મહિનામાં કુલ વર્કફોર્સ પૈકી 18,000 કર્મચારીની છટણી કરી હતી. હવે બીજા રાઉન્ડમાં વધુ 9,000 કર્મચારીની યાદી તૈયાર કરી છે. આ કર્મચારીઓની આગામી થોડા સપ્તાહમાં છટણી કરાશે.
સીઇઓ એન્ડી જેસીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે કંપનીએ છટણી માટે જે યોજના બનાવી છે તે મુજબ કર્મચારીઓની છટણી કરાશે. એમેઝોનના સીઇઓએ કહ્યું કે હાલ અને નજીકના ભવિષ્યમાં અર્થવ્યવસ્થાને લઇને કેટલીક અનિશ્ચિતતા છે. તેથી અમે ખર્ચ કાબૂમાં રાખવા આ નિર્ણય લીધો છે.