રામમંદિર પર આંતકી હુમલાના એલર્ટ બાદ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ખડકાયો, માર્ગો પર વાહનોનું સઘન ચેકિંગ

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. જેમાં 60 ટકા સુધી કામ પૂર્ણ થઈ ગયું છે. જેને લઈને હવે આતંકીઓ પણ રામ મંદિરને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ રામ મંદિરને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને આતંકવાદીઓ રામ મંદિર પર મોટા હુમલાની યોજના ઘડી રહ્યાં હોવાનું જણાવ્યું છે. એજન્સીઓના ઈનપુટ અને દિલ્હીમાં બે આતંકવાદીઓની ધરપકડ બાદ તંત્ર દ્વારા અયોધ્યા મંદિરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ અયોધ્યાના એન્ટ્રી પોઈન્ટ પર પસાર થતા વાહનોની પણ સઘન તપાસ કરી લોકોના ઓળખ કાર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આતંકવાદીઓની નજરમાં અયોધ્યા
ભગવાન રામના મંદિરનો પહેલો માળ ઓક્ટોબર 2023 સુધીમાં બનાવવામાં આવશે અને ભગવાન રામ જાન્યુઆરી 2024માં તેમના મંદિરમાં બિરાજમાન થઈ જશે. ત્યારે હવે આ મંદિર આતંકવાદીઓના નજરમાં હોવાથી અયોધ્યામાં સુરક્ષા વધારાય છે.મહત્વનું છે કે ભૂતકાળમાં રામ જન્મભૂમિ સંકુલ સહિત અનેક સ્થળે આતંકવાદી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે રામ મંદિર અને વિકાસને લઈને અયોધ્યાને લઈને સુરક્ષા સામે પડકારો વધ્યા છે.
મંદિરની સુરક્ષા વધારાઇ
બીજી તરફ હુમલાની ચેતવણી પર મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું છે કે જ્યારે સુરક્ષા એજન્સીઓને ખબર પડી છે કે આતંકવાદીઓ નેપાળ દ્વારા રામ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ તેમાં સફળ થશે નહીં, ઉદ્ધારક હનુમાનજી અહીં શા માટે બેઠા છે. ભૂતકાળમાં અનેક હુમલાઓ થયા છે પરંતુ તેમાં સફળતા મળી નથી તો આ વખતે પણ આતંકીઓ સફળ થશે નહીં! વધુમાં આતંકી હુમલાની દહેશતને પગલે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. એસપી ગૌતમે જણાવ્યું એલર્ટ બાદ અયોધ્યાના મુખ્ય ચોક પર ચેકિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. મુલાકતીઓના આધાર કાર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. વધુમાં મોટો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.