જૂનાગઢ મનપાએ ખોદેલા ખાડામાં યુવક બાઇક સાથે ખાબકતાં મોત

જૂનાગઢમાં તંત્રના વાંકે એક યુવાને જીવ ખોટો છે. શહેરમાં ભૂગર્ભ ગટર તેમજ ખાનગી કંપની દ્વારા ગેસ પાઇપલાઇન ફીટીંગનું કામ ચાલતું હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં ખાડા ખોદવામાં આવ્યા છે. ત્યારે આ ખાડામાં એક યુવાન બાઇક સાથે ખાબકતાં તેનું મોત થયું છે. જેને લઇને પરિવારજનોએ પુત્રના મોત પાછળ તંત્રને જવાબદાર ગણાવી રહ્યા છે. મહાનગરપાલિકાના નાયબ કમિશ્નર કહી રહ્યા છે કે, આ કામ વોટર વર્ક શાખાનું છે. તો પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, અમને જાણ મીડિયાથી થઇ છે, તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરાશે,
સારવાર દરમિયાન યુવકનું મોત
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે ખાડા ખોદવામાં આવી રહ્યા છે, ત્યાં કોઈ પણ પ્રકારની ચેતવણીના બોર્ડ પણ રાખવામાં આવતા નથી. ત્યારે રાઠોડ પરિવારના દીકરાનું મૃત્યુ થતાં પરિવાર તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યો છે. આ ઘટના ગત 25 તારીખના રોજ જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર કલાપીનગરમાં બની હતી. જેમાં 35 વર્ષનો યુવાન ખુલ્લા ખાડામાં બાઇક સાથે પડી ગયો હતો. જેને પ્રથમ સારવારમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં તેને સારવાર દરમિયાન મોત થયું હતું.

આઠ વર્ષની પુત્રીએ બાપની છત્રછાયા ગુમાવી
આ ઘટનાને લઈને રાજેશ રાઠોડના પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલ તેમજ તંત્ર સામે આક્ષેપો કર્યા છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે. તંત્રની બેદરકારીને કારણે એક સુખી સંપન્ન પરિવારનો માળો વિખાઈ ગયો છે. મૃતક યુવાનની પત્ની અને આઠ વર્ષની પુત્રી નોંધારા બની ગયા છે. આ અંગે મૃતકની મમ્મી-પપ્પા અને પત્નીએ જણાવ્યું હતું કે, પાલિકાની બેદરકારીના લીધે અમે અમારા ઘરના સભ્યને ગુમાવ્યું છે. આ ઘટના પાછળ તંત્ર જવાબદાર છે.

સમગ્ર મામલે તપાસ કરાશે: પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર
આ બાબતે મહાનગરપાલિકાના નાયબ કમિશ્નર જયેશ વાજા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આ બાબતની ઘટનાની કોઈ જાણ નથી અને જે ખુલ્લો ખાડો રાખવામાં આવ્યો હતો તે કામ વોટર વર્ક શાખાનું છે અને ભૂગર્ભ ગટરનું કામ છે. જ્યારે જૂનાગઢ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર બી.સી નાઈને પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ બાબતની જાણ મીડિયા દ્વારા થઈ છે. જે ખુલ્લા ખાડામાં યુવાન મૃત્યુ પામ્યો છે તે કોન્ટ્રાક્ટરની ભૂલ છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે.