મચ્છુ નદી નજીક આવેલા એક મંદિરમાં ગૌશાળામાં રહેતા એક સેવકે જણાવ્યું કે, જેવી ઘટના બની એટલે તરત હું અને અમારી ટીમ અહીં પહોંચ્યા

મોરબીમાં રવિવારે બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્નેહીજનો ગુમાવ્યા છે. આનંદની ઘડીઓ વચ્ચે અચાનક મોતનો માતમ છવાઈ ગયો છે. તેવામાં સ્થાનિકો સહિત કેટલાય તરવૈયાઓએ મચ્છુમાં ડૂબકી લગાવી લોકોને બચાવ્યા હતા. મોરબી દુર્ઘટનામાં લોકોના જીવ બચાવનાર મંદિરમાં ગૌશાળામાં રહેતા સેવક સાથે આ મામલે વાતચીત કરી છે. આ મંદિરના સેવકે 50 જેટલા જીવિત અને 20 જેટલા મૃત લોકોને બહાર કાઢ્યા હતા.
મોરબીની ગોઝારી ઘટનામાં 50 જેટલા લોકોને મોતના મુખમાંથી બચાવનાર સેવકની સરાહનિય કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે. મચ્છુ નદી નજીક આવેલા એક મંદિરમાં ગૌશાળામાં રહેતા એક સેવકે જણાવ્યું હતું કે, જેવી ઘટના બની એટલે તરત હું અને અમારી ટીમ અહીં પહોંચ્યા હતા. જે બાદમાં અમે લોકોએ નદીમાં કૂદીને 50 લોકોને જીવિત બહાર કાઢ્યા હતા. આ સાથે 20 જેટલા મૃતદેહો પણ બહાર કાઢ્યા હોવાનું સેવકે કહ્યું હતુ. જોકે નદીમાં બચવા કુદતી વખતે સેવકને પણ પગમાં ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે કે, મોરબી મચ્છુ દુર્ઘટના બાદ હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આજે સવારથી નદીમાં ફરી મૃતદેહની શોધખોળ શરુ કરવામાં આવી છે. વહેલી સવારે NDRFના જવાનો આધુનિક મશીનો સાથે તંત્ર અને સેનાના જવાનો ફરી કામે લાગી ગયા છે. મહત્વનું છે કે, છે. દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ હવે જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે.