સાસરિયાના ત્રાસથી બે સંતાનો સાથે માતાએ ડેમમાં મોતની છલાંગ મારી

લીમખેડા તાલુકાના ટીંબા ગામની પરીણિતાએ પોતાની કુમળીવયની બે પૂત્રીઓ સાથે ઉમરિયા ડેમમાં મોતની છલાંગ મારતાં ત્રણેના મોત થયા હતાં. બે પૂત્રીઓના મૃતદેહ સવારે જ્યારે માતાની લાશ સાંજના સમયે મળી આવી હતી. સાસરીમાં ત્રાસ હોવાને કારણે પરીણિતાએ આ અવીચારી પગલું ભર્યુ હતું.
લીમખેડા તાલુકાના ટીંબા ગામના વેડ ફળિયામાં રહેતી 12માં ધોરણ સુધી ભણેલી પરીણિતા જયાબેન કલ્પેશભાઈ બારીયાએ ગત 18 મી માર્ચ શનિવારના રોજ વહેલી સવારે કોઈક અગમ્ય કારણસર મનમાં લાગી આવતા પોતાની 5 વર્ષની દીકરી પ્રજ્ઞાબેન તથા 2 વર્ષની દીકરી મેઘાબેનને સાથે રાખી પોતાની તથા બંને સંતાનોની જીવનલીલાનો અંત આણવાના ઇરાદે ઉમરીયા ડેમના પાણીમાં ઝંપલાવ્યું હતું. આ બાબતની જાણ ટીંબા ગામમાં તથા જયાબેનના પિયર કુંડલી ગામમાં વાયુવેગે પ્રસરતા ભારે ચકચાર સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ગામમાં ભારે ચકચાર સાથે શોકનું મોજુ ફરી વળ્યું
આ બનાવ સંદર્ભે લીમખેડા પોલીસે નરવતભાઈ બારીયાની ફરિયાદના આધારે અકસ્માતે મોત મુજબનો ગુનો નોંધયો હતો. 2 વર્ષની બાળકી મેઘાબેનનો મૃતદેહ શનિવારે જ ડેમના પાણીના કિનારા ઉપરથી મળી આવ્યો હતો.જ્યારે 5 વર્ષની બાળકી પ્રજ્ઞાબેનનો મૃતદેહ દેવગઢબારિયા ફાયરબ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી સોમવારે સવારે મળી આવી આવી હતી. જયાબેનની લાશ મોડી સાંજે પાણી ઉપર આવતાં મૃતદેહના પીએમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.