અમદાવાદમાં રિવરફ્રન્ટમાં એક પુરુષ અને યુવકે આત્મહત્યા કરી લીધી

મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે આવેલી મણિલાલની ચાલીમાં રહેતા વિશાલ રામુભાઈ પટણી (ઉં. 20) એ તા. 22 નવેમ્બરના મંગળવારે સાંજે 6 વાગ્યા પહેલાં રિવરફ્રન્ટ વોક-વે પરથી નદીમાં પડતું મૂકી દીધું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ વિશાલનો મૃતદેહ બહાર કાઢી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને સોંપી દીધો હતો.
પોલીસે ગુનો નોંધી વિશાલે કયા કારણથી આત્મહત્યા કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ચાંદખેડા જનતાનગર નિગમનગરમાં રહેતા કનૈયાલાલ લાલશંકર સાકરિયા (ઉં. 52)એ ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ ખાતે એસિડ પી લીધું હતું. જેથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે મોડીરાત્રે કનૈયાલાલનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે ગુનો નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.