કેન્દ્રનો મોટો નિર્ણય, આતંકી હુમલાના એલર્ટને પગલે જમ્મુમાં ગોઠવી દીધા CRPFના 1800 જવાનો

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રાજૌરી જિલ્લામાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં નાગરિકોની હત્યાને ધ્યાનમાં રાખીને વધારાની 18 કંપનીઓ (1800 સૈનિકો) જમ્મુ અને કાશ્મીર મોકલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પુંછ અને રાજૌરી જિલ્લામાં સૈનિકોને તૈનાત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બે આતંકવાદી ઘટનાઓમાં બે સગીર પિતરાઈ સહિત છ લોકો માર્યા ગયા હતા.
મહત્વનું છે કે, સોમવારે IED બ્લાસ્ટમાં બે પિતરાઈ ભાઈઓ માર્યા ગયા હતા. જ્યારે રવિવારે સાંજે રાજૌરી જિલ્લાના વિસ્તારમાં આતંકવાદીઓએ ત્રણ મકાનો પર ગોળીબાર કર્યો હતો જેમાં ચાર નાગરિકોના મોત થયા હતા અને છ ઘાયલ થયા હતા. મંગળવારે દરેકના તેમના વતન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ હુમલાઓમાં ચાર વર્ષીય વિહાન શર્મા, 16 વર્ષીય સમીક્ષા શર્મા, સતીશ કુમાર (45), દીપક કુમાર (23), પ્રિતમ લાલ (57) અને શિશુ પાલ (32)ના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે રાજૌરી શહેર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે હત્યામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે કોર્ડન અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
નોંધનીય છે કે, પોલીસે હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. હુમલાના વિરોધમાં મંગળવારે કિશ્તવાડ જિલ્લામાં બંધ પાળવામાં આવ્યો હતો. દુકાનો અને ધંધાકીય સંસ્થાઓ બંધ રહી હતી અને શહેરના માર્ગો પર આંશિક રીતે વાહનવ્યવહાર બંધ રહ્યો હતો.