એક કિન્નર જે ગૌશાળા ચલાવવા હાઇવે ઉપર માંગે છે ભીખ

કિન્નરોને સમાજમાં યોગ્ય માનપાન મળતું નથી પરંતુ તેમાં એક કિન્નરની એવી વાત કરવી છે કે જેનાથી સમાજના તમામ લોકોને તેમના પ્રત્યે માન સન્માન થશે. આ વાત છે ભાવનગરથી 10 કિલોમીટર દૂર સીદસર ગામ નજીક ગૌશાળા ચલાવતા કિન્નર નયના કુંવરની.
એક કિન્નરે પોતાનું જીવન ગાયો માટે સમર્પિત કરી દીધું
નયના કુંવર એક એવા વિશિષ્ટ કિન્નર છે કે તેમણે પોતાનું જીવન ગાયો માટે સમર્પિત કરી દીધું છે. દરરોજ તેઓ નારી ગામ પાસે ભાવનગર અમદાવાદ હાઇવે ઉપર વાહન ચાલકો પાસેથી 10, 15, 20, 50 રૂપિયાની ભીખ માંગે છે. તે રકમનો ઉપયોગ પોતાના જીવન માટે નહીં પરંતુ ગાયો માટે કરી રહ્યા છે. ગાયોના નિર્વાહ ઉપરાંત બીમાર, અપંગ ગાયોની દવા સેવા ચાકરી માટે આ રકમનો ઉપયોગ કરે છે.
નયના કુંવર સીદસર નજીકની પોતાની ગૌશાળામાં ગાયોની સેવા પૂજા કરે
વહેલી સવારે પ્રાતઃકાળમાં જાગીને સૌપ્રથમ નયના કુંવર સીદસર નજીકની પોતાની ગૌશાળામાં ગાયોની સેવા પૂજા કરે છે. ત્યારબાદ સીધા નારી ગામ હાઇવે ઉપર પહોંચીને વાહન ચાલકો પાસેથી ભીખ માગતા નજરે પડે છે. મધ્યાહને પોતાની ગૌશાળામાં પરત ફરીને ફરી તેમની સેવા ચાકરીમાં લાગી જાય છે. આમ તેમનું જીવન લોકો માટે પ્રેરણાદાયી છે.
મૂળ નામ દિલીપભાઈ, ગામ જમરાળા..
કિન્નર નયના કુંવર મૂળ બોટાદ નજીક જમરાળા ગામના વતની છે. તેમનું અગાઉનું નામ દિલીપભાઈ હતું. 20 વર્ષ પહેલા તેઓ ભાવનગર હીરા ઘસવાનું કામ કરવા માટે આવ્યા હતા, પરંતુ પોતાના ઘરની નજીકમાં એક ગાયને તરફડતી જોઈને પોતાનું જીવન કિન્નર સમાજને સમર્પિત કરી દીધું અને વર્ષોથી ગાયોની સેવામાં કાર્ય કરી રહ્યા છે. અત્યારે સીદસર વરતેજ હાઇવે ઉપર તેમની ગૌશાળામાં 100 જેટલી ગાયોનો નિર્વાહ થાય છે.