જેતપુરમાં ભાદરની કેનાલમાં કોઇ કલરયુક્ત પાણીનું ડ્રમ નાખી ગયું

જેતપુરમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગને બદનામ કરવાના કાવતરાના ભાગ રૂપે કોઇ આવારા શખ્સો ભાદર નદીની સિંચાઇની કેનાલમાં કલરયુક્ત પાણી ભરેલું આખું ડ્રમ નાખીને જતા રહ્યા હતા. આ બાબત ધ્યાને આવતાં ડ્રમને બહાર કાઢી લેવાયું હતું અને પાણી દુષિત થતું બચાવી લેવામાં આવ્યું હતું.
જો કે આ ઘટનાના પગલે પ્રિન્ટિંગ એન્ડ ડાઇંગ એસો.ના પ્રમુખે પોલીસ ફરિયાદ કરી આવા તત્વોને પકડીને બેનકાબ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગને બદનામ કરવા માટે ઘણા હિતશત્રુઓ પ્રયત્નશીલ છે.
પ્રદૂષણને કાબુમાં કરવા માટે એસો. સતત પ્રયત્નશીલ છે, અને તે માટે મોટી ક્ષમતાના 2 CETP બનાવેલ છે અને તમામ વિસ્તારના કારખાનાઓને આવરીને કેમિકલ યુક્ત પાણી ત્યાં જ ભેગું કરવાની વ્યવસ્થા કરી છે. તેમ છતાં અમુક શખ્સ આ વ્યવસ્થામાં ભંગાણ પાડવા અને લોકોના આરોગ્યને હાનિ પહોંચાડવા માગતા હોય તેમ કેનાલમાં કલરયુક્ત પાણી ભરેલું ડ્રમ નાખીને જતા રહ્યા હતા.
આ અંગે એક કારખાનાના માલિકનું ધ્યાન જતાં તેમણે ત્યાંથી ડ્રમ બહાર કાઢી પાણી પ્રદુષિત થતું અટકાવ્યું હતું. જે જગ્યાએ આ બનાવ બન્યો ત્યાં કોઈ જ કારખાના આવેલા નથી, એ વિસ્તારમાં કોઇ કલરકામ થતું નથી. આથી પ્રથમ દ્રષ્ટિએ એવું જ લાગે છે કે કોઇએ આવું હિન કૃત્ય આ ઉદ્યોગને બદનામ કરવા જ કર્યું છે. આથી એસો. પ્રમુખ રામોલિયાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી આવા શખ્સોને બેનકાબ કરવા ભારપૂર્વક માગણી કરી છે.