રસ્તા પર રમતા બાળકને બટકા ભર્યા, સ્થાનિકોએ મહામહેનતે બાળકને બચાવ્યુ

રાજકોટનો એક પણ રસ્તો અત્યારે એવો નહીં હોય કે જ્યાંથી લોકો પસાર થાય એટલે ‘ડાઘીયો’ શ્વાન તેનું ‘સ્વાગત’ કરવા માટે ઉભો ન હોય ! શહેરમાં દિવસેને દિવસે શ્વાનનો વસતી વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે શાપર વેરાવળમાં રખડતા શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. જ્યાં રસ્તા પર મતા બાળકને રખડતા શ્વાને અનેક બટકા ભર્યા હતા. જો કે એ સમયે સ્થાનિકોએ વચ્ચે પડતા મહામહેનતે બાળકને બચાવ્યુ હતું. હાલ માસૂમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
મંદિર પાસે રમવા ગયો શાપર વેરાવળ ખાતે આવેલા શીતળા માતાના મંદિર પાસે શુક્રવારની રાત્રે 8:30 કલાક આસપાસ અર્શદ મહમદ અંસારી નામના અઢી વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. અર્શદ નામનો બાળક શીતળા માતાના મંદિર પાસે રમવા ગયો હતો. જે સમયે તેને શ્વાને આગળ અને પાછળના ભાગે બટકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે.
બાળકના પગ પાસેથી લોહી વહી રહ્યું હતું
આ અંગે પીડિતની માતાએ જણાવ્યું હતું કે, તેમનો દીકરો અરશદ અન્સારી રસ્તા પર રમવા ગયો હતો. તેઓ ઉપર કામ કરી રહ્યા હતા. એ સમયે કોઈએ તેમને કહ્યું હતું કે તેમના બાળકને શ્વાને અનેક બટકા ભર્યા છે. જેને પગલે તેઓ નીચે આવ્યા હતા.એ સમયે સ્થાનિક લોકોએ બાળકને કુતરાની ચુંગાલમાંથી છોડાવી દીધું હતું. અને બાળકના પગ પાસેથી લોહી વહી રહ્યું હતું. જેથી તેને સત્વરે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં હાલ તે સારવાર હેઠળ છે.