છેલ્લા બે વર્ષમાં દેશમાં દાણચોરીના સોનાની જપ્તીમાં 62.5%નો વધારો

દેશમાં સોનાની દાણચોરી સતત વધી રહી છે. સરકારી આંકડા પણ આ વાતની ખાતરી આપી રહ્યાં છે. છેલ્લા બે વર્ષમાં દાણચોરી દ્વારા જપ્ત કરાયેલા સોનામાં 62.5%નો વધારો થયો છે. 2020માં કુલ 2,154.58 કિલો સોનું જપ્ત કરાયું હતું. 2022માં આ આંકડો વધીને 3,502.16 કિલો થઈ ગયો, જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં જ 384.71 કિલો જપ્ત કરાયું છે.

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. છેલ્લા બે વર્ષમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા પકડાયેલા સોનાની દાણચોરીના કેસોમાં 55.12%નો વધારો થયો છે. 2020માં સોનાના જપ્તી કેસની કુલ સંખ્યા 2,567 હતી. 2022માં તે વધીને 3,982 થઈ ગઈ.

આ વર્ષે જાન્યુઆરીમાં તેમની સંખ્યા 414 હતી.
ચૌધરીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા પણ 23.11% વધી છે. 2020માં 1,389 લોકોની ધરપકડ કરાઇ હતી. 2022માં તેમની સંખ્યા વધીને 1,710 થઈ. આ વર્ષે જાન્યુઆરીમાં 115ની ધરપકડ કરાઇ છે.
ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં દાણચોરીમાં વધારો થવાનું મુખ્ય કારણ સોના પરની ઊંચી ઇમ્પોર્ટ ડ્યૂટી છે. સરકારી સૂત્રોના મતે, ગત વર્ષ 2022માં દેશમાં 706 ટન સોનાની આયાત કરાઇ હતી. આના એક વર્ષ પહેલા 2021માં 1,068 ટન સોનાની આયાત કરાઇ હતી.
ભારતમાં સૌથી વધુ આયાત શુલ્ક, તેથી સોનાની દાણચોરી વધી રહી છે
ભારત વિશ્વમાં સૌથી વધુ આયાત જકાત ધરાવે છે. તમામ પ્રકારના કર સહિત, તે 15% સુધી પહોંચે છે. આ સિવાય જ્વેલરી બનાવવા પર 3% GST વસૂલવામાં આવે છે. દેશમાં સોનાની દાણચોરી વધવાનું આ મુખ્ય કારણ છે. પરંતુ દેશમાં સોનાની આયાતને ઓછો કરવા માટે સરકારે તેના પરની આયાત જકાત વધારી દીધી છે.
> અજય કેડિયા, કેડિયા એડવાઇઝરી