16.5 ફૂટનો વ્યાસ ધરાવતા 250 કિલો વજનના શંખને આજે ભવનાથ મંદિરે ખુલ્લો મૂકાશે

જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે મુંબઇથી આવેલા 16.5 ફૂટનો વ્યાસ ધરાવતો 250 કિલોના આર્ટિફિશિયલ શંખને મહા શિવરાત્રિના પાવન દિવસે વિધી બાદ દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવશે. આ અંગે મૂળ જૂનાગઢની દિકરી અને હાલ મુંબઇ રહેતા સોનલબેન પટેલ-સાવંતે જણાવ્યું હતું કે, હું જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાની દિકરીની બહેનપણી છું.
16.5 ફૂટનો 250 કિલોના આર્ટિફિશિયલ શંખ
મે મુંબઇના બાબુલનાથ મહાદેવ મંદિર,નાશિકમાં તેમજ અનેક શિવ મંદિરોમાં આવા શંખ આપ્યા છે. દરમિયાન જૂનાગઢના ભવનાથ મંદિરમાં અગાઉ દર્શને આવેલ ત્યારે જ અહિં પણ શંખ મૂકવાની અંતરથી ભાવના જાગી હતી. બાદમાં ક્રિપાબેન શાહ, જયશ્રીબેન દેસાઇ વગેરેએ સાથે મળીને આ આર્ટિફિશ્યલ શંખ બનાવરાવ્યો છે.

12 લાખના ખર્ચે તૈયાર થયેલ આ શંખને મુંબઇથી જૂનાગઢ લવાયો
6 કારીગરોની 1.5 મહિનાની મહેનત બાદ પંચદ્રવ્યોથી બનેલા આ શંખને તૈયાર કરવા સફળતા મળી છે. 12 લાખના ખર્ચે તૈયાર થયેલ આ શંખને મુંબઇથી જૂનાગઢ ટ્રકમાં લવાયો છે જે ત્રણ દિવસે અહિં પહોંચ્યો છે. આ શંખને હવે મહા શિવરાત્રિના પાવન દિવસે ષોડષોપચાર વિધી બાદ લોકોના દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવશે.
12 જ્યોર્તિલીંગમાં શંખ અપાશે
શંખને વ્યવસ્થિત ગોઠવવા માટે ઇજનેરો આવશે. અહિં 4 થી 5 ફૂટનો ખાડો ખોદી સ્ટેન્ડ બનાવવામાં આવશે. બાદમાં શંખને ગોઠવવામાં આવશે. દેશના 12 જ્યોતિર્લીંગમાં આ રીતે શંખ અપાશે . - સોનલબેન પટેલ-સાવંત.
શંખ પ્રવેશદ્વાર પાસે જ ગોઠવાશે
આજે- મહા શિવરાત્રિના પાવન દિવસે સવારે 10થી 11 પૂજનવિધી કરાશે. બાદમાં ભવનાથ મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ આ શંખને સ્ટેન્ડ બનાવી ગોઠવાશે. ખાસ કરીને શંખ વગાડ્યા બાદ જ શિવજીની આરતી થાય છે. ત્યારે આવા શંખના દર્શન માત્રથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે.- ગિરીશભાઇ કોટેચા, ડેપ્યુટી મેયર.