78% બાળકોને મોબાઈલ જોતા જોતા જમવાની ટેવ

વિકાસ અને ટેક્નોલોજીના આ બદલાતા યુગમાં મોબાઈલ માનવજીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આનું પરિણામ એ આવ્યું છે કે આજે નાના બાળકો પણ તેમના માતા-પિતાની દેખરેખમાં આના વ્યસની બની ગયા છે,

બાળકોનું જીવન જાણે મોબાઈલ વિનાનું અધૂરું છે, મોબાઈલ વિના બાળકો રહેતા જ નથી. નાનપણથી જ મોબાઈલની જીદ દિવસે દિવસે બાળકોમાં વધતી જાય છે. ગમેતેમ કરી મોબાઈલ આપે તો જ હોમવર્ક કરવું, જમવું વગેરે આ બધી બાબત માતાપિતાને હવે ખુબ અઘરી લાગે છે.

મોબાઈલને કારણે માતાપિતામા ટેન્શન, ચિંતા, મૂંઝવણ જોવા મળે છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષના માર્ગદર્શનમાં ડો. ડિમ્પલ રામાણીએ 1134 લોકોનો ગૂગલ ફોર્મ તથા ટેલિફોનિક મારફતે સર્વે કરીને તારણો રજૂ કર્યા છે. જેમાં 78% બાળકોને મોબાઈલ જોતા જોતા જમવાની ટેવ હોવાનું અને 93%ને આઉટડોર કરતા મોબાઈલ ગેમ્સ વધુ રમતા હોવાનું બહાર આવ્યું હતું.

સર્વેના તારણો; 77% બાળકો શાળાએથી ઘરે આવી ફ્રેશ થવાને બદલે મોબાઈલ જ હાથમા લે છે
- 82% બાળકોને મોબાઈલ જ ગમે છે, મોબાઈલ સિવાય બીજું કશું દેખાતું નથી.
- 93% ને આઉટડોર ગેમ્સ પસંદ જ નથી, બાળકોને મોબાઈલમા ગેમ્સ રમવી જ ગમે છે
- 78% બાળકોને મોબાઈલની સાથે લઈને જ જમવાની આદત છે.
- 82% બાળકો મોબાઈલની સાથે એકલતાનો ભોગ બની ગયા છે.
- 73% બાળકોને શાળાએ પણ મોબાઈલ યાદ આવે, મોબાઈલ વિના રહી નથી શકતા.
- 77% શાળાએથી ઘરે આવતાની સાથે બાળકો ફ્રેશ થવાને બદલે મોબાઈલ જ પહેલો હાથમા લે છે.
- 64% બાળકો ઊંઘમાં પણ મોબાઈલનું રટણ રટે છે.
- 89% બાળકો મોબાઈલને કારણે હોમવર્ક કરવામાં આળસ કરે છે.
- 77% બાળકોમાં મોબાઈલને કારણે સૂવાની ટેવ મોડી થતી જોવા મળી.જેને લીધે સવારે શાળાના સમયે વહેલા ઉઠવામાં મોડું થઇ જાય છે.
- 83% બાળકોમાં મોબાઈલને કારણે આંખોની મુશ્કેલીઓ જોવા મળી.
- 67% બાળકોમાં મોબાઈલને કારણે બેહુદું વર્તન કરતા શીખી ગયા જોવા મળેલ છે.
એક્સપર્ટ; બાળકોને ધ્યાન કરવાનું શીખવો
ઈન્ટરનેટ વિના મોબાઈલની લતમાંથી મુક્તિ મેળવવી ખૂબ જ સરળ બની જાય છે તેથી બાળક પાસે જે મોબાઈલ હોય તેનું ઈન્ટરનેટ બંધ રાખવું, શરૂઆતના દિવસોમાં આવું કરવું શક્ય ન હોવાથી શરૂઆતના દિવસોમાં ઓછા ઈન્ટરનેટ પેકથી રિચાર્જ કરો જેથી ઈન્ટરનેટ ડેટા પેકની અછતને કારણે તમે તેનો ઓછો ઉપયોગ કરી શકો.

તમે ઓછો ઉપયોગ કરશે તો બાળક આપોઆપ આ લતમાંથી બહાર આવી શકશે. વાસ્તવિક દુનિયામાં લોકો સાથે સમય વિતાવો કેમ કે માતાપિતા પોતે મોબાઈલમાં વ્યસ્ત હોવાથી બાળકો તેનું અનુકરણ કરતા હોય છે.

બાળકને ધ્યાન કરવાનું શરૂ કરાવો કારણ કે, તે મોબાઈલની લતથી છૂટકારો મેળવવામાં ખૂબ અસરકારક સાબિત થશે. ઘરના અન્ય સભ્યો ફ્રી ટાઈમમાં મોબાઈલ પર ગેમ રમવાનું બંધ કરો. તમારું અનુકરણ બાળક કરશે. બાળકોને શેરી રમતો રમવા મોકળાશ આપો. બાળક સાથે બાળક બનીને માતા પિતાએ રમતો રમવી જોઈએ. - ડૉ. યોગેશ જોગસણ, મનોવિજ્ઞાન નિષ્ણાત

વાલીની ફરિયાદો
- મોબાઈલને કારણે બાળકો સરખું જમતા નથી, ચીડાઇ જાય છે
- મોબાઈલને કારણે બાળકો સરખું જમતા પણ નથી.
- મોડે સુધી મોબાઈલને કારણે જાગ્યા કરે અને ગેમ્સ રમ્યા કરે.
- મોબાઈલ સાથે એકલા રહેવાનો આગ્રહ.
- કોઈ ડિસ્ટર્બ કરે અથવા તો મોબાઈલ લઇ લેવામાં આવે તો ચીસો પાડવા લાગે, રાડો નાખી ધમપછાડા કરવા લાગે.
- મોબાઈલને કારણે ચશ્મા આવી જવા અને નંબર વધી જવાની સમસ્યા વઘી ગઈ છે.
- શાળાએથી શિક્ષકોની પણ ફરિયાદો કે ભણવામાં ધ્યાન ન આપવું.
- ક્લાસિસમા ન જવું, વર્તનમા પરિવર્તન આવ્યું છે.