સિગારેટથી 56 બીમારીનું જોખમ

દુનિયામાં સ્મોકિંગ કરનાર લોકો 40% લોકો ચીનમાં રહે છે, હાલમાં જ લેસેન્ટ જર્નલમાં એક પ્રકાશિત રિસર્ચ અનુસાર, જે લોકો સ્મોકિંગ કરે છે તે લોકોને 56 બીમારીનું જોખમ વધારે રહે છે. આ બીમારીમાં કેન્સરથી લઈને હાર્ટ, મગજ, લિવર અને આંખની બીમારીનો સમાવેશ થાય છે.

20 વર્ષથી નાની ઉંમર જ લાગે છે સ્મોકિંગની આદત
આ સંશોધન ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ચીનની સંશોધન સંસ્થા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ માટે ચીન કદુરી બાયોબેંકના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં લગભગ 11 વર્ષ સુધી 5 લાખ 12 હજારથી વધુ લોકોના સ્વાસ્થ્યને ફોલો કરવામાં આવ્યું હતું. જે પૈકી લગભગ 3 લાખ મહિલાઓ હતી, પરંતુ નિયમિત ધૂમ્રપાન કરનારા 74.3% પુરુષો હતા.

અભ્યાસમાં સામેલ સંશોધક લિમિંગ લીએ જણાવ્યું હતું કે, ચીનમાં બે તૃતીયાંશ પુરૂષો 20 વર્ષની ઉંમર પહેલા સિગારેટના વ્યસની બની જાય છે. જે પૈકી અડધા લોકો જો ધૂમ્રપાનની આદતને કારણે પોતાનો જીવ ગુમાવેવાની સ્થિતિ આવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનમાં દર વર્ષે ધૂમ્રપાનને કારણે 10 લાખ લોકોના મોત થાય છે. એટલે કે દરરોજ સરેરાશ 3 હજાર લોકોના મોત થઈ રહ્યા છે.

સ્મોકિંગથી લેરિક્સ કેન્સરનું જોખમ 216%
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ધૂમ્રપાન કરનારાઓને કોઈપણ રોગ થવાનું જોખમ એવા લોકો કરતાં 10% વધુ હોય છે જેમણે તેમના જીવનમાં ક્યારેય સિગારેટ પીધી નથી. સૌથી વધુ જોખમ લેરિક્સ કેન્સરનું હોય છે. આ કેન્સરનું જોખમ 216% સુધી છે. લેરિક્સને વૉઇસ બોક્સ અથવા ગળું કહેવામાં આવે છે.

જે લોકો નિયમિત ધૂમ્રપાન કરે છે તેમને કુલ 56 રોગોનું જોખમ રહેલું છે. તે પૈકી 50 રોગો પુરુષોને અને 24 રોગો મહિલાઓને શિકાર બનાવી શકે છે. આ ઉપરાંત 22 રોગો મૃત્યુનું કારણ બની શકે છે. જેમાંથી 17 પુરૂષો અને 9 મહિલાઓના મોત થઈ શકે છે. આ રોગોમાં 10 હૃદય રોગ, 14 શ્વાસ સંબંધી રોગો, 14 કેન્સર, 5 પેટ સંબંધિત રોગો અને 13 અન્ય રોગો જેમ કે ડાયાબિટીસ અને મોતિયાનો સમાવેશ થાય છે.

સમયસર ધૂમ્રપાન છોડી દેવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
સંશોધનનાં પરિણામ પરથી ખબર પડી છે કે, જે લોકોએ બીમારી પહેલા ધૂમ્રપાન છોડી દીધું હતું, તેમને આગામી 10 વર્ષ પછી બીમારીઓનું જોખમ એટલુ જ હતું જે સામાન્ય લોકોમાં રહેતું હતું. એટલે કે, યોગ્ય સમયે ધૂમ્રપાન છોડીને આપણે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ. સંશોધનમાં સામેલ પ્રોફેસર ઝેંગમિંગ ચેનનું કહેવું છે કે ચીનમાં સિગારેટની કિંમતમાં વધારો કરીને અને પેકેટ પર અસરકારક ચેતવણીઓ લગાવીને લાખો લોકોના જીવ બચાવી શકાય છે.