ભક્તિનગર, પડધરી અને ગોંડલ સહિત સૌરાષ્ટ્રના 34 રેલવે સ્ટેશનની કાયાપલટ થશે, વેઈટિંગ લોંજ સહિતની સુવિધા હશે

કેન્દ્રીય બજેટમાં વેસ્ટર્ન રેલવેના બજેટની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતને રેલવે બજેટમાં કુલ 8332 કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ, ડબલ ટ્રેક કામગીરી, ઈલેક્ટ્રિફિકેશન, બ્રિજ, રેલવે લાઈન સહિતના જુદા જુદા કામ માટે બજેટ ફાળવાયું છે. વેસ્ટર્ન રેલવેના બજેટમાં ગુજરાતના 87 રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે જેમાં સૌરાષ્ટ્રના 34 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.
આગામી અંદાજિત બે વર્ષમાં સૌરાષ્ટ્રના 34 જેટલા રેલવે સ્ટેશનની કાયાપલટ થશે જેમાં રાજકોટ શહેરમાં આવેલા ભાવનગર ડિવિઝનમાં આવતા ભક્તિનગર રેલવે સ્ટેશન, પડધરી, ગોંડલ સહિતના જુદા જુદા રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ તમામ રેલવે સ્ટેશનોમાં વેઈટિંગ રૂમ, પાણી, બેઠક વ્યવસ્થા સહિતની જુદી જુદી સુવિધા-વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય બજેટમાં ગુજરાત રાજ્યને રેલ બજેટમાં અપાયેલા લાભો અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.
સૌરાષ્ટ્રના આ 34 રેલવે સ્ટેશનની કાયાપલટ થશે
ભક્તિનગર રેલવે સ્ટેશન, ભાણવડ, ભાટિયા, ભાવનગર, બોટાદ જંક્શન, ચોરવાડ રોડ, ધ્રાંગધ્રા, દ્વારકા, ગોંડલ, હાપા, જામજોધપુર, જામનગર, જામવંથલી, જૂનાગઢ, કાનાલુસ, કેશોદ, ખંભાળિયા, લખતર, લીંબડી, મીઠાપુર, મોરબી, ઓખા, પડધરી, પોરબંદર, રાજકોટ, રાજુલા, સાવરકુંડલા, સિહોર જંક્શન, સોમનાથ, સુરેન્દ્રનગર, થાન, વેરાવળ, વિરમગામ અને વાંકાનેર સ્ટેશનની કાયાપલટ કરાશે.
સોમનાથના સ્ટેશનને 157 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય બનાવાશે
રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનોને આધુનિક સગવડોથી ભરપૂર વિશ્વસ્તરીય ટર્મિનલો રૂપે વિકસિત કરવાને વધારે મહત્ત્વ આપ્યું છે જેથી યાત્રીઓને આરામદાયક યાત્રાનો અનુભવ થઇ શકે. પશ્ચિમ રેલવેના છ સ્ટેશન એટલે કે સોમનાથ, સુરત, ઉધના, સાબરમતી, ન્યૂ ભુજ અને અમદાવાદ સ્ટેશનોના પુન: વિકાસનું કામ ચાલી રહ્યું છે. સોમનાથ સ્ટેશનને 157 કરોડનાં ખર્ચે આધુનિક સ્ટેશન રૂપે પુન: વિકાસ કરવામાં આવી રહ્યું છે અને તેની કામગીરી માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સોમનાથમાં મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે.