5 જિલ્લામાં 188 વ્યાજખોરની ધરપકડ, 41 વ્યાજખોરની ધરપકડ કરાયા બાદ હજુ પણ જામીન મળ્યા નથી

રાજ્યભરમાં વ્યાજખોરોના ત્રાસ સામે થોડા સમય પહેલા તેમની સામે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ પોલીસ તંત્રે શરૂ કરી હતી. જે ઝુંબેશ વચ્ચે રાજકોટ રેન્જમાં આવતા જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરમાં રેન્જ વડા અશોકકુમાર યાદવના નેજા હેઠળ અનેક સ્થળોએ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકોને ન્યાય મળે તે માટે અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તાર મળી કુલ 628 સ્થળે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.5થી 31 જાન્યુઆરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 68, જામનગર જિલ્લામાં 106, મોરબી જિલ્લામાં 217, રાજકોટ ગ્રામ્યમાં 164 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 73 લોકદરબાર થયા હતા. પાંચ જિલ્લામાં યોજાયેલા લોકદરબાર દરમિયાન દેવભૂમિ દ્વારકામાં 13, જામનગરમાં 21, મોરબીમાં 14, રાજકોટ ગ્રામ્યમાં 13 અને સુરેન્દ્રનગરમાં 13 મળી કુલ 74 ફરિયાદ રેન્જ પોલીસને મળી હતી. ઉપરોક્ત 74 ફરિયાદ પૈકી 46 ફરિયાદ યોગ્ય જણાતા અને તે ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે વ્યાજખોરો સામે ગુના નોંધવામાં આવ્યા હતા. જ્યારે 28 રજૂઆતોની તપાસ શરૂ કરી છે.
તપાસ પૂરી થયે સંડોવાયેલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવશે. રેન્જના પાંચ જિલ્લામાં નોંધાયેલી ફરિયાદો પૈકી દેવભૂમિ દ્વારકામાં 14 ગુના નોંધી 23 વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. જામનગરમાં 29 ફરિયાદમાં 36ની, મોરબીમાં 21 ફરિયાદમાં 39 વ્યાજખોરની, રાજકોટ ગ્રામ્યમાં 27 ફરિયાદમાં 60 વ્યાજખોરની, સુરેન્દ્રનગરમાં 21 ફરિયાદમાં 30 વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. આમ રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં કુલ 112 ગુના નોંધી કુલ 188 વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી છે. જે પૈકી 41 વ્યાજખોરને હજુ સુધી જામીન નહિ મળતા જેલહવાલે છે.
41 કેસમાં IT અને EDને રિપોર્ટ કરાયા
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પાંચેય જિલ્લામાં હાલ નોંધાયેલી 46 ફરિયાદ પૈકી 31 ફરિયાદની ઇન્કમટેક્સ વિભાગને, 10 ફરિયાદ ઇ.ડી.ને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જ્યારે વ્યાજખોરો સામે નોંધાયેલી 48 ફરિયાદમાં પોલીસ તંત્રે જરૂરી દસ્તાવેજો, વિવિધ બેંકના 165 ચેક, 16 મોબાઇલ, 5 બાઇક, 6 મોટરકાર, બે ઓટો રિક્ષા અને 5,42,022 લાખના સોનાના ઘરેણાં મળી કુલ 38,95,022નો મુદ્દામાલ કબજે કર્યો છે.
લોન મળી રહે તે માટે કેમ્પ કરાયા
રાજકોટ રેન્જમાં આવતા રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબીના જરૂરિયાતમંદોને સરળતાથી લોન મળી રહે તે માટે વિવિધ બેંકના અધિકારીઓ, કર્મચારીઓને
સાથે રાખી પોલીસ દ્વારા કેમ્પના આયોજન કરવામાં આવ્યા હતા. પાંચેય જિલ્લામાં કુલ 108 જરૂરિયાતમંદને લોન આપવામાં આવી હતી.