ગુજરાતના 10357 શતાયુ મતદાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં 3866

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ વય જૂથમાં મતદારોની સંખ્યા અલગ પાડવામાં આવી છે તે પૈકી 10357 મતદાર એવા છે જેમની ઉંમર 100 વર્ષ કરતા પણ વધુ છે તેઓ દેશની ગુલામી અને આઝાદી બંનેના સાક્ષી રહી ચૂક્યા છે. આ તમામને મતદાન કરવા માટે તંત્રએ તૈયાર કર્યા છે. આ શતાયુ મતદારોની કુલ સંખ્યામાં સૌરાષ્ટ્ર કચ્છમાં 3866 મતદાર છે અને તેમાં પણ સૌથી વધુ 628 મતદાર ભાવનગર જિલ્લામાં છે જ્યારે સૌથી ઓછા પોરબંદરમાં 109 નોંધાયા છે જ્યારે રાજકોટમાં આ સંખ્યા 547 છે.
આ તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડી રહ્યું છે. જે લોકો મતદાન મથક સુધી પહોંચી શકે તેમ નથી તેમની અરજીને લઈને બીએલઓ દ્વારા પોસ્ટલ બેલેટ ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત દિવ્યાંગ અને અશક્ત મતદારોના કિસ્સાઓમાં ઘરેથી મતદાન મથક સુધી લઈ જવા માટે ખાસ વાહનો પણ ફાળવવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં શતાયુ મતદારોની સંખ્યા | |
ભાવનગર | 628 |
રાજકોટ | 547 |
કચ્છ | 444 |
જૂનાગઢ | 395 |
અમરેલી | 372 |
જામનગર | 298 |
ગીર સોમનાથ | 278 |
સુરેન્દ્રનગર | 278 |
મોરબી | 175 |
દ્વારકા | 174 |
બોટાદ | 168 |
પોરબંદર | 109 |
રાજકોટમાં 80થી 100 વર્ષના 52000થી વધુ મતદાર
રાજકોટ જિલ્લામાં કુલ 23,07,237 મતદાર નોંધાયા છે. આ પૈકી 18થી 19 વર્ષ એટલે કે પ્રથમ વખત મતદાન કરનારાઓની સંખ્યા 43,477 છે જ્યારે 20થી 29 વર્ષની વય જૂથમાં 4,31,361 આ રીતે જોતા 30 વર્ષ કરતા ઓછી ઉંમર હોય તેવા મતદારોની સંખ્યા 4,74,838 છે. 30થી 39 વર્ષની વય જૂથમાં 5,70,267 જે સૌથી વધુ છે. જ્યારે 80થી વધુ વર્ષની ઉંમરના 52176 મતદાર છે.