1.49 કરોડ 10થી 30 ટકા વ્યાજે લેનાર જમીન, મકાનના ધંધાર્થીને 6 વ્યાજખોરની ધમકી

શહેરમાં વધુ છ વ્યાજખોર સામે જમીન-મકાન લે-વેચનો ધંધો કરતા માધવ ભરતભાઇ તેરૈયા નામના યુવાને રાજકોટના કાના ધોળકિયા, જગા મીર, અમદાવાદના અમિત દેસાઇ, ગોંડલના ધવલ મહેશ જોશી, રાજકોટનાં કલ્પેશ વકાતર અને નવઘણ ભરવાડ નામના વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.
યુવાનની ફરિયાદ મુજબ, તેને ધંધાના કામે નાણાંની જરૂરિયાત હોય 2018માં વ્યાજખોર કાના ધોળકિયા અને જગા મીર પાસેથી 38 લાખ, અમિત દેસાઇ પાસેથી 70 લાખ, ધવલ જોશી પાસેથી 16 લાખ, કલ્પેશ વકાતર પાસેથી 5 લાખ, નવઘણ ભરવાડ પાસેથી રૂ.20 લાખ વ્યાજે લીધા હતા. ઉપરોક્ત વ્યાજખોરોએ 10થી 30 ટકાના વ્યાજે રૂપિયા આપ્યા હતા અને અઠવાડિયે તેમને વ્યાજ ચૂકવતો હતો.
તમામને સમયસર વ્યાજ ચૂકવ્યા બાદ ધંધામાં ખોટ આવતા વ્યાજખોરોને નાણાં ચૂકવવા અસક્ષમ રહેતા તેઓ વારંવાર ફોન કરી તું પૈસાનું વ્યાજ નહિ આપ તો તારા ટાંટિયા ભાંગી નાખીશ અને આંતરડા બહાર કાઢી નાખીશ અને અમદાવાદની બજારે, બજારે બહાર કાઢી મારીશ, મારી ઉપર ઘણા ગુના દાખલ થયા છે તેવી ધમકી આપતા હતા. મોટા ભાઇ પણ જમીન મકાનનું કામકાજ કરતા હોય વ્યાજખોરોને નાણાં ચૂકવવા માટે તેમને તૈયાર કરેલા એપાર્ટમેન્ટ, પિતાના નામનું પેન્ટ હાઉસ ગીરવે મૂકી નાણાં ચૂકવી આપ્યા હતા.
વ્યાજખોરોને વ્યાજ સહિતની રકમ ચૂકવી દેવા છતાં ફોન કરી વધુ નાણાં પડાવવા વારંવાર પોતાને, પરિવારને મારી નાખવાની ધમકી આપતા હતા. અમિત દેસાઇ નામના વ્યાજખોર પાસેથી કટકે કટકે 70 લાખ લીધા હોય તેને કુલ 4 કરોડ જેવી માતબર રકમ ચૂકવવા છતાં તે હજુ વધુ 1 કરોડની માગણી કરી તું મારા પૈસા આપી દે નહિ તો રાજકોટમાં હોઇશ તો પણ કોઇ તને બચાવશે નહિ, તને અમદાવાદ લઇ જઇ મારી નાખવાની ધમકી દેતા હતા. વ્યાજખોરોને વ્યાજ સહિતની રકમ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરી દબાણ કરી રહ્યા છે. અંતે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.